ગુજરાતમાં ભરઉનાળે જોરદાર વરસાદ ખાબક્યો હતો તેથી જગતનો તાત સતત ચિંતામાં જોવા મળ્યો છે. જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે.
ઉનાળુ વાવેતર સંપૂર્ણ નિષ્ફળ
જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ પડતાની સાથે જ અજાબ ગામના ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે બેથી અઢી ઈંચ જેટલો અજબ ગામમાં વરસાદ પડતાની સાથે જ ઉનાળુ વાવેતર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. તેથી સરકાર કંઈક વળતર આપે તેવી ખેડૂત આશા વ્યક્ત કરી રહ્યો છે.
ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ
જૂનાગઢ જિલ્લા પરના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. કેમકે આ વર્ષે કમોસમી વરસાદથી ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં અજાબમાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે બેથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાયો છે તેથી ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેમાં ખાસ કરીને કેશોદ ગ્રામ્યમાં તલ મગ, અડદ જેવા ઉનાળુ પાક વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વાવેતર કરેલ પાક તૈયાર થયો હતો. તૈયાર થયેલા પાક પર વરસાદ વરસતા ખેડૂતોને મોટે પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.









