વાગડ વિસ્તારના રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નવા વર્ષના પ્રારંભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે બાળકો અને મોટેરાઓએ ફટાકડા ફોડી નવા વર્ષના આગમનને વધાવ્યું હતું.


બપોરના બાર વાગ્યા સુધી લોકોએ પરિવાર સાથે સગાસબંધીને નવા વર્ષની ઉજવણીની શુભેચ્છા આપી હતી. તો બપોરે બાર વાગ્યે રાપર શહેરના સ્વામિનારાયણ મંદિર ઓધડવાડી તથા સ્વામિનારાયણ મંદિર મહિલાઓ અને દરીયાસ્થાન મંદિર ખાતે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાપુજા ધુન તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યા બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આજે યોજાયેલ અન્નકુટ મહોત્સવ દરમિયાન હરજીભાઈ પોલાર, ગોકર હોથી, વિનોદભાઈ દાવડા, રાહુલ ગૌસ્વામી, કેતન દાવડા, અક્ષર ગૌસ્વામી તથા યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવી હતી. ઉપરાંત સ્વામિનારાયણ મંદિરના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. દરિયાસ્થાન મંદિર ખાતે આરતી ધુન તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે નવા વર્ષના પ્રારંભે લોકો મંદિરો ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

આણંદમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા 1111 વાનગીઓના ભવ્ય અન્નકૂટ

આજથી શરૂ થતા વિક્રમ સંવત 2081ને વધાવવા માટે, હરિપ્રબોધમ પરિવાર દ્વારા આત્મીય વિદ્યાધામ, બાકરોલ ખાતે પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવનસ્વામીજીના પ્રત્યક્ષ સાંનિધ્યમાં ઠાકોરજી સમક્ષ 1111 વાનગીઓના ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન હિંદુ સંસ્કૃતિમાં દરેક તહેવાર અને રીતરીવાજની પાછળ પ્રભુભક્તિ અને ગુરુભક્તિનો સંદેશ છુપાયેલો હોય છે તો સાથોસાથ કુદરત તરફથી મળતાં અન્ન–જળ–પ્રકાશ જેવા જીવન ટકાવવા માટે અનિવાર્ય સંસાધનો આપવા બદલ કૃતજ્ઞતાની અભિવ્યક્તિ પ્રદર્શિત થતી હોય છે. અન્નકૂટ મહોત્સવ પણ નવી કૃષિ પેદાશોને સૌ પ્રથમ પ્રભુને અર્પણ કરી, તેને પ્રભુનો પ્રસાદ માનીને વપરાશમાં લેવાની ભાવના સાથે ઉજવવામાં આવે છે.

ધૂન ભજનની રમઝટ સાથે સવારે સભાની શરૂઆત કરવામાં આવી હતી. અન્નકૂટ મહોત્સવ નિમિતે યોજાયેલ સભામાં લાભ આપતા નિમિત્ત જીવનસ્વામીએ સ્વ.હરિપ્રસાદસ્વામીજી તથા પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીના પ્રસંગોના માધ્યમથી સમજાવ્યું કે, ગુણાતીત જ્ઞાનના કલાસીસના હોય પણ આવા પુરુષોનું જીવન હરતી ફરતી પાઠશાળા જેવું હોય છે જેમાંથી દાસત્વ, પ્રભુભક્તિ, ગુરુભક્તિ જેવા અનંત ગુણો શીખવા મળે છે.

આપણે માટે અખંડ દીપોત્સવી છે

બ્રહ્મવિહારીસ્વામીએ પ્રસંગો વર્ણવી સમજાવ્યું કે આપણને ગુરૂહરિ પ્રબોધ સ્વામીજીની પ્રાપ્તિ થઇ છે એટલે આપણે માટે અખંડ દીપોત્સવી છે. આપણે આપણા તંત્રનો ભાર પ્રભુની માથે નાખીને નિષ્ઠાથી જીવવાનું છે. ત્યારબાદ હરિપ્રબોધમ પરિવારના વડીલ પૂ.ફૂવાજીએ પ.પૂ.પ્રબોધસ્વામીજીના ચરણોમાં સમગ્ર પરિવાર વતી સહુને તેમની કૃપાદ્રષ્ટિમાં રાખવાની પ્રાર્થના કરી હતી. સભાના અંતમાં આશિષ પ્રદાન કરતાં સમજાવ્યું કે અન્નકૂટએ આત્મીયતાનું પર્વ છે. હજારો વાનગી બનાવવાની હોય ત્યારે ભેગા મળીને હોલા ઉપાડ કરવો પડે. આવા ઉત્સવના માધ્યમથી પ્રભુ આપણને એકબીજાની નજીક લઇ આવતા હોય છે. આત્મીયતાની મીઠાશ લેવા માટે શેકાવું પડે, ઓગળવું પડે અને પોતાનું અસ્તિત્વ મિટાવવું પડે, પોતાના સ્વભાવ મૂકી દેવા પડે. કૃપા મેળવવા માટે જાગ્રત રહેવું પડે.

5000થી વધુ ભક્તોએ નવા વર્ષના પ્રથમ દિવસે દર્શનનો લાભ લીધો

સભા બાદ પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવનસ્વામીજી, વડીલ, સંતો તથા આમંત્રિત મહેમાનોએ ઠાકોરજી સમક્ષ અન્નકૂટ અર્પણ કરી આરતી ઉતારી ભક્તિ સુમન અર્પણ કર્યા હતા. હરિપ્રબોધમ પરિવારના 5000થી વધુ ભક્તોએ નવા વર્ષના પ્રથમ દિવસે આત્મીય વિદ્યાધામ ખાતે પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવનસ્વામીજીના દર્શન–પરાવાણીનો લાભ લીધા બાદ ઠાકોરજી સમક્ષ ધરાવેલ અન્નકૂટના દર્શન કરવાની સાથે પોતાના મનોરથો પણ પ્રભુને સમર્પિત કર્યા હતા.

હરિભક્તોએ ભોજનપ્રસાદની સાથે શ્રીઠાકોરજી સમક્ષ ધરાવેલ અન્નકૂટનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભોજન પ્રસાદ લીધા બાદ નુતન વર્ષની શરૂઆત ઠાકોરજી અને પ્રગટ ગુરુહરિના દર્શનથી થઇ તેની ધન્યતા પોતાના હૈયામાં ભરી પ્રભુભક્તિ અને ગુરુભક્તિમાં સમર્પિત થવાના સંકલ્પ સાથે સહુ હરિભક્તો પોતાના ગંતવ્ય તરફ પધાર્યા હતા. આ દિવ્ય અને ભવ્ય અન્નકૂટ મહોત્સવના આયોજનમાં હરિપ્રબોધમ પરિવારના સંતો અને સ્વયંસેવકોએ દિવસ-રાત જોયા વિના સેવારત થઈને ગુરુહરિનો રાજીપો લુંટી લીધો હતો.

  • Follow us on: