સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મ જયંતીની પૂર્વસંધ્યાએ ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત 225 કિલાનો ગૂંદીનો લાડુ પ્રસાદ તરીકે બનાવવામાં આવ્યો હતો. જેના સર્વે જ્ઞાતિજનોએ વિશાળ લાડુના દર્શન પણ કર્યા હતા.


લોહાણા મહાજન દ્વારા અનોખુ આયોજન

સંત શિરોમણી જલારામ બાપાની પરોપકારની ભાવનાને પ્રજ્વલિત રાખનાર રઘુવંશી સમાજ દ્વારા દર વર્ષે જલારામ બાપાની જન્મ જયંતિની ધાર્મિક પૂજન અર્ચન સાથે ભવ્ય ઉજવણી તો કરવામાં આવે જ છે સાથે સાથે દર વર્ષે અનોખી રીતે અને કંઇક વિશિષ્ટ આયોજન ભુજ ખાતે કરવામાં આવે છે. જલારામ બાપાની 225મી જન્મજયંતી છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.

225 કિલોનો ગૂંદીનો વિશાળ લાડુ બનાવામાં આવ્યો

ગત વર્ષે 224 કિલોનો બાપાને પ્રિય બાજરાનો રોટલો બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે 225 કિલોનો ગૂંદીનો વિશાળ લાડુ બનાવામાં આવ્યો હતો. આ 225 કિલોના ગૂંદીના લાડુમાં 75 કિલો બેસન, 60 કિલો ઘી, 30 કિલો તેલ, 50 કિલો ખાંડ, 10 કિલો ડ્રાય ફ્રુટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાડુ 4 ફૂટ પહોળો અને 2.5 ફૂટ ઊંચો છે. જેને બનાવતા 1 કલાકનો સમય લાગ્યો છે. આવતીકાલે લાડુનો પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે.

જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય જલારામબાપાની આગામી શુક્રવારના રોજ 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટે સ્થાનિકોએ વીરપુર ધામને રંગબેરંગી લાઈટો, કમાનો, ધજા, તોરણો બાંધીને શણગારવામાં આવ્યું છે અને બાપાની જન્મ જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે.

છેલ્લા 25 વર્ષથી આ મંદિરમાં એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી

"જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો"ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાના મંદિરે આજે 205 વર્ષે પણ અવિરત સદાવ્રત ચાલુ જ છે, તેમજ વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં છેલ્લા 25 વર્ષથી એક પણ રૂપિયાનું દાન લેવામાં નથી આવતું, ત્યારે સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામબાપાની આગામી 8 નવેમ્બરે શુક્રવારે કારતક સુદ સાતમના રોજ આવતી 225મી જન્મ જયંતિને ઉજવવા માટે અત્યારથી જ વિરપુરમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: