• સ્વ સહાય જૂથ થકી મહિલાઓ આત્મ નિર્ભર બની છે : વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ
  • વડોદરા જિલ્લાના 291 સ્વ સહાય જૂથોને રૂપિયા 5.09 કરોડની કેશ ક્રેડીટનું વિતરણ કરાયું
  • લાભાર્થી મહિલાઓએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે મહારાષ્ટ્રના જલગાંવથી સમગ્ર દેશમાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી લખપતિ દીદીઓને સંબોધન કર્યું હતું. જે અંતર્ગત વડોદરામાં કાર્યક્રમ યોજાયો હતો. વડોદરામાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના હોલમાં વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

291 સ્વસહાય જૂથને રૂપિયા 5.09 કરોડની કેશ ક્રેડીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું

રાજ્યના 33 જિલ્લાઓમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના 291 સ્વસહાય જૂથને રૂપિયા 5.09 કરોડની કેશ ક્રેડીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વસહાય જૂથની બહેનો કે જેઓને લખપતિ દીદી તરીકે ઓળખવામાં આવે છે, તેઓને સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લાભાર્થી
મહિલાઓએ પોતાના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા.

'લખપતિ દીદી' કાર્યક્રમનો હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટેનો છે

વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડાએ જણાવ્યું હતું કે, સ્વ સહાય જૂથના માધ્યમથી મહિલાઓ આત્મનિર્ભર બનવા સાથે પરિવાર અને સમુદાયના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વનો ફાળો આપી રહી છે. 'લખપતિ દીદી' કાર્યક્રમનો મૂળ હેતુ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અલગ અલગ રીતે સહાયરૂપ થવાનો છે, જેથી તેઓ તેમના કુટુંબની આજીવિકામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી શકે.

કાર્યક્રમમાં ઘણા પદાધિકારીઓ, અધિકારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી

આ કાર્યક્રમના માધ્યમથી મહિલાઓને અભ્યાસ અને કૌશલ્ય વિકસાવી પોતાનું મકાન, ખેતી, લઘુ ઉદ્યોગ, અથવા અન્ય કોઈ વ્યવસાય ચાલુ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેથી તે પોતે પગભર થઈ શકે. NRLM હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ થકી મહિલાઓને નાણાં, સાધન, તાલીમ અને આજીવિકા માટે સમગ્ર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખ, ડી.એલ.એમ મૂળરાજસિંહ વાઘેલા પદાધિકારીઓ, અધિકારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
  • Follow us on: