• બન્ને ઈજાગ્રસ્તોને વળતર તરીકે રૂ. 15 હજાર ચૂકવવા પણ કોર્ટે હુકમ કર્યો

  • લખતર-વણા રોડ પરના બનાવમાં નાયબ ઈજનેર અને ઈલેકિટ્રક આસી.ને ઈજા પહોંચી હતી
  • લખતર કોર્ટમાં ચાલી જતા કોર્ટે કાર ચાલક આરોપીને કસુરવાર ઠેરવી બે વર્ષની સજાનો હુકમ કર્યો છે

લખતરથી વણા જતા રસ્તા પર અકસ્માતમાં લખતર વીજ કંપનીના બે કર્મીને ઈજા પહોંચી હતી. સામેથી આવતી કારનું ટાયર ફાટતા કાર બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અંગેનો કેસ તાજેતરમાં લખતર કોર્ટમાં ચાલી જતા કોર્ટે કાર ચાલક આરોપીને કસુરવાર ઠેરવી બે વર્ષની સજાનો હુકમ કર્યો છે.

આ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ લખતર વીજ કંપનીમાં ફરજ બજાવતા નાયબ ઈજનેર ખુશ્બુબેન પરમાર અને ઈલેકટ્રીક આસીસ્ટન્ટ હર્ષદભાઈ શાંતીલાલ પટેલ લાઈનના કામસર તા. 17-1-2023ના રોજ વણા ગયા હતા. જયાંથી બાઈક પર પરત આવતા હતા. ત્યારે લખતરથી વણા તરફ જતી કારનું અચાનક ટાયર ફાટતા કાર બેકાબુ બની હતી અને બાઈક સાથે અથડાઈ હતી. અકસ્માતના આ બનાવમાં બન્ને વીજ કર્મીને ઈજા થતા 108 દ્વારા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાંથી હર્ષદભાઈને અમદાવાદ અને ખુશ્બુબેનને વડોદરા રીફર કરાયા હતા. આ અકસ્માતમાં કાર ચાલક સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. જેમાં તપાસ અધિકારી આર.એચ.સોલંકી સહિતનાઓએ તપાસ કરતા કાર ચાલક ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામના મેહુલ રમેશભાઈ સતાપરા હોવાનું સામે આવ્યુ હતુ. તાજેતરમાં આ કેસ લખતર જયુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ એસ.એમ.રામીની દલીલો, 13 મૌખીક પુરાવા અને 7 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ જજ એચ. કે. મેરીયાએ આરોપી મેહુલ સતાપરાને કસુરવાર ઠેરવી ર વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત ઈજા પામનાર બન્ને ઈજાગ્રસ્તોને 15-15 હજાર વળતર તરીકે ચૂકવવા પણ હુકમ કરાયો છે.


  • Follow us on: