- એક માત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં
- વર્ષ 2014માં એવી ઘટના બની કે બનાવ્યું સિંહ સ્મારક
- સ્થાનિકો આજે પણ એ ઘટનાને યાદ કરીને રડી જાય છે
ભગવાનના અનેક મંદિરો જોયા હશે તમે પરંતુ સિંહણનું મંદિર જોયુ છે ? આજે વાત કરીશુ અમરેલીના રાજુલામાં આવેલુ સિંહણ મંદિર કે જયાં ગ્રામજનો સિંહણને દીવો કરી તેના માટે પ્રાર્થના કરે છે.આ મંદિરને સિંહ સ્મારક તરીકે ઓળખવામાં આવે છે,રાજુલા પંથકના લોકો માટે સિંહ એ ભગવાન સમાન છે અને લોકો સિંહ જોઈને ખુશી અનુભવે છે.
સિંહ એ ગુજરાતની શાન
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામ પાસે સિંહ-પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યુ છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે. સિંહની સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે. આ વિસ્તાર બૃહદગીર તરીકે ઓળખાય છે. સિંહ-પ્રેમીઓનું કહેવું છે કે વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક છે, જ્યાં અપાર શ્રદ્ધા સાથે સિંહની પૂજા થાય છે.
જાણો કેમ બનાવામા આવ્યુ સિંહ મંદિર
ગુજરાતીઓ માટે સિંહ સૌથી પ્રિય પ્રાણી છે,લોકો સિંહ જોવા માટે સ્પેશિયલ ગીર અને સાસણમાં જતા હોય છે,આ ગામમાં એવી ઘટના બની કે લોકો એ ઘટનાને યાદ કરીને રડી જાય છે,ગામના સ્થાનિકોનું કહેવું છે કે વર્ષ 2014માં ભેરાઈ ગામ નજીક ટ્રેનની અડફેટે બે સિંહણના મોત થયા હતા અને રાજયમાં આ પહેલી ઘટના હતી કે જેમાં સિંહણના ટ્રેનની અડફેટે મોત થયા હોય,ત્યારે સિંહણની યાદમાં ગ્રામજનોએ મંદિર બનાવ્યું છે જેને સિંહણ સ્મારક તરીકે ઓળખવામાં આવે છે.
સિંહ દિવસના દિવસે આરતી અને પૂજા કરાય છે
10 ઓગસ્ટના દિવસે ગ્રામજનો અને વન વિભાગ દ્રારા આ સ્મારક પર વિશેષ પૂજા અને આરતી પણ કરાય છે,આસપાસના ગામના લોકો પણ આ સ્મારકે દર્શન કરવા માટે આવતા હોય છે,ગ્રામજનોનું કહેવું છે કે જયારે આ મંદિરે આવીએ ત્યારે મનને શાંતિ મળે છે અને અનોખી શકિત મળતી હોય તેવો અહેસાસ થાય છે.