• દિનેશ પરમારે ભાજપને બંધારણ મિટાવનારા કહ્યા

  • બંધારણને મિટાવનારાને અમે મિટાવી દઈશું: પરમાર
  • ભાજપ સંવિધાનને મિટાવવા માંગે છેઃ દિનેશ પરમાર

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરી દેવામાં આવ્યો છે ત્યારે નેતાઓ દ્વારા એકબીજા પર પ્રહાર પણ કરવામાં આવી રહ્યા છે. જોકે, એકબીજા પરના આ શાબ્દિક વાકયુદ્ધમાં નેતાઓ ઘણીવાર લોકશાહીની મર્યાદાઓ પણ ઓળંગી દેતા હોય છે.

જુનાગઢ કોંગ્રેસના પૂર્વ મંત્રીએ છેડ્યો વિવાદ 

લોકસભા ચૂંટણીના ચૂંટણી પ્રચારમાં હવે નેતાઓના નિવેદનોમાં ધમકીઓનો દોર પણ શરૂ થઈ ગયો છે. જેમાં, જુનાગઢ કોંગ્રેસના પૂર્વ મંત્રીએ વિવાદનો વધુ એક મધપૂડો છંછેડી દીધો છે. મળતી માહિતી મુજબ જૂનાગઢમાં કોંગ્રેસના પૂર્વ મંત્રીએ ભાજપને ધમકી આપી છે અને કહ્યું છે કે બંધારણ ખતમ કરનારને અમે ખતમ કરી નાખીશું. આ પ્રકારનું નિવેદન કર્યું છે જુનાગઢ કોંગ્રેસના પૂર્વ મંત્રી દિનેશ પરમારે. તેમણે આક્ષેપ કરતાં ભાજપને બંધારણ ખતમ કરનાર પાર્ટી ગણાવી છે.

ભાજપને ગણાવ્યું બંધારણ મિટાવનાર

દિનેશ પરમારે ધમકીભર્યા સ્વરમાં ભાજપને ચીમકી આપતા નિવેદન કર્યું છે કે બંધારણ તરફ ત્રાંસી આંખે જોશે તો આંખો સલામત નહીં રહે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સંવિધાનને મિટાવવા માંગે છે અને એ અમે કોઈકાળે સહન નહીં કરીએ.

બંધારણને મિટાવનારાને અમે મિટાવી દઈશું: પરમાર

જૂનગઢ કોંગ્રેસના નેતાએ જાહેર સભામાં બફાટ કરતાં નિવેદન આપતા કહ્યું હતું કે દેશ અત્યારે કઈ દિશામાં લઈ જવો તે મોટો પ્રશ્ન છે. એવા લોકોના હાથમાં દેશનું શાસન છે જે બાબાસાહેબ આંબેડકરના બંધારણને મિટાવવા માંગે છે. અમે બાબા સાહેબ આંબેડકરના વંશજો અમારા જીવના જોખમે પણ બંધારણ ખતમ થવા નહિ દઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે બંધારણને મિટાવવા વાળાને અમે મિટાવી દેશું. ભાજપનો પ્લાન મનુસ્મૃતિ પ્રમાણે વર્ણ વ્યવસ્થા કરવાનો છે. ભાજપ અત્યારે સંવિધાનને મિટાવવા માંગે છે જે અમે કોઈ કાળે સહન કરીશું નહિ.


  • Follow us on: