• જામનગર બેઠક પર ફરી ભારતીય જનતા પાર્ટીની જીત

  • સાંસદ પૂનમ માડમ ફરી બન્યા જામનગરથી સાંસદ
  • કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયાને આપી કારમી હાર

કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ કરતી જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ પૂનમબેન માડમની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ પૂનમ માડમ પર ભાજપે ફરી મૂકેલો વિશ્વાસ સફળ સાબિત થયો છે અને તેમણે મોટા માર્જિન સાથે કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયાને મ્હાત આપી છે.

પૂનમ માડમની મોટા માર્જિનથી જીત:

ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયા સામે 2,36,990 મતોથી વિજય થયો છે. પૂનમ માડમને 617844 મત મળ્યા છે અને જે.પી. મારવીયાને 3,80,854 વોટ મળ્યા હતા.

જામનગર બેઠક પર થયું હતું 57.67 ટકા મતદાન

જામનગર લોકસભા બેઠક પર 7 મેના રોજ યોજાયેલ ત્રીજા તબક્કામા મતદાનમાં કુલ 57.67 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો દ્વારકામાં 53.39 ટકા, જામ જોધપુરમાં 57.66 ટકા, જામનગર નોર્થમાં 59.36 ટકા, જામનગર રુરલમાં 60.78 ટકા, જામનગર દક્ષિણમાં 59.12 ટકા, કાલાવાડમાં 57.69 ટકા અને ખંભાળિયામાં 56.60 ટકા મતદાન નોંધાયું હતું.

2019ની ચૂંટણીના પરિણામ વિશે જાણો:

જામનગર લોકસભા બેઠક પર કુલ 28 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. કોંગ્રેસે મુરૂભાઈ કંડોરિયાને ટિકિટ આપી હતી અને અને ભાજપે પૂનમ બેન માડમને ટિકિટ આપી હતી. જામનગર બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીએ સુનિલ વાઘેલાને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે NCPએ ઘોઘાભાઈ પરમારને ટિકિટ આપી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન હેમતભાઈ માડમની 5,91,588 મતોથી જીત થઈ હતી. જ્યારે, કોંગ્રેસના ઉમેદવાર મુરુભાઈ કંડોરિયા આહીરને 3,54,784 મતો મળ્યા હતા.

જામનગર લોકસભા બેઠકનો ઇતિહાસ:

જામનગર લોકસભા મતવિસ્તાર એ ગુજરાતના 26 લોકસભા મતવિસ્તારો પૈકીનો એક છે. જામનગર લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે - કાલાવડ (અનુસૂચિત જાતિ), જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા. જામનગર જિલ્લાની અંદાજિત વસ્તી 2,516,000 છે, જેમાંથી 6,68,000 શહેરી વિસ્તારોમાં રહે છે. જેમાં પુરૂષોની કુલ સંખ્યા 1,297,811 અને મહિલાઓની સંખ્યા 1,218,296 છે. આ વિસ્તારમાં હિંદુઓ અંદાજે 2,108,804 (83.81), મુસ્લિમો 373,674 (14.85) અને જૈનો 21,963 છે.


  • Follow us on: