ઉત્તરાયણ એટલે ઉમંગ અને ઉત્સાહનુો તહેવાર. આજે અમદાવાદમાં સવારથી જ દુકાનો પર સ્વાદના શોખીનોએ અડ્ડો જમાવ્યો.આખો દિવસ આરામથી પતંગ ઉડાડી શકે માટે શહેરની દુકાનો પર ભીડ ઉમટી પડી. જલેબી અને ઊધિયું લેવા માટે દુકાનો પર લાંબી લાઈનો જોવા મળી. જલેબીના પ્રતિ કિલોના રૂ. 400 થી લઈને રુ. 900 સુધીનો ભાવ જોવા મળ્યો. જ્યારે જુદા-જુદા શાકની સામગ્રીથી બનતું ઊંધિયા પ્રતિ કિલોએ રૂ. 300થી 700 સુધીના ભાવ બજારમાં છે. આજે જલેબી અને ઉંધિયા સાથે ગાંઠીયા અને ખમણ જેવા ફરસાણ પણ ડિમાન્ડમાં છે. એટલે કહી શકાય કે આજે શહેરીજનોને બપોરની લંચની ડીશ રૂ.500થી 1000 સુધીમાં પડી શકે.હશે ભાઈ! ઉત્તરાયણ છે, ઉડાવો પતંગ અને માણો જલેબી અને ઉંધિયાની લિજજત.


[[$googlead]]

ભાવ આસમાને

અમદાવાદ સહિત રાજ્યભરમાં જલેબી અને ઊંધીયા સાથે ઉતરાયણની ઉજવણી થઈ રહી છે.સ્વાદના રસિકોએ આજે થોડો સ્વાદ પર નિયંત્રણ રાખવો પડશે. કારણ કે વાનગીઓના ભાવ પતંગની જેમ આસમાને પંહોચતા બજેટ ખોરવાઈ ગયું છે. આ વર્ષે ઉંધિયાના ભાવ 300થી 700 સુધી તો જલેબીના ભાવ રૂ. 400 થી 900 સુધીનો બોલાઈ રહ્યો છે. ગત વર્ષે ઉંધિયાના ભાવ વધુમાં 450 ની આસપાસ હતો જ્યારે જલેબીનો મહત્તમ ભાવ અંદાજે રૂ. 700 હતો. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જલેબી અને ઊંધિયાના ભાવમાં રૂપિયા 30 થી 40 ટકાનો વધારો થયો.

[[$alsoread]]

ભાવ વધારા મામલે વેપારીની સ્પષ્ટતા

ભાવ વધારાને લઈને વેપારીઓનું કહેવું છે કે ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો. સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયમાં તેલના ભાવ વધારો કરવામાં આવ્યો. અને તેના કારણે જ ખાદ્ય તેલના ભાવ વધારાની અસર વાનગીઓ પર જોવા મળી. તેલના ભાવ વધતા તેમાંથી બનતી વાનગીઓના ભાવમાં પણ વધારો થયો. જો કે ગમે તે ભોગે ઉત્સવ ઉજવવાનો અમદાવાદીઓના મિજાજની કોઈ પતંગ ના કાપી શકે. ભાવ ગમે તેટલા હોય આજે જલેબી અને ઉંધિયું ખાવું એટલે ખાવું...જ.. સ્વાદના રસિયાઓની દુકાનો પર સવારથી ઉમટેલ ભીડ શહેરીજનોની તહેવાર ઉજવવાની તાસીર બતાવે છે.

દુકાનો પર લાંબી લાઈનો

આજે સવારથી જ પવન શાનદાર છે. સહેજ ઠુમકો મારો અને ચઢી જાય પતંગ એવો આજે પવન છે. અને એટલે જ પતંગ બાજો શહેર અને પોળના ધાબાઓ પર ચઢી ગયા છે. ઉત્તરાયણનો તહેવાર પર પતંગની સાથે આજે ધાબાઓ પર ખાણી પીણીની મોજ સાથે ઉજવણી કરાશે. ગુજરાતમાં ઉજવાતી ઉત્તરાયણ ભારત ઉપરાંત વિદેશમાં પણ વધુ લોકપ્રિય છે. વિદેશીઓ પણ આ ઉત્તરાયણ પર્વ પર ગુજરાતની મુલાકાત લેતા હોય છે. વિદેશથી ઉતરાયણ મનાવવા આવેલા પતંગ રસિકો પણ ઊંધિયું અને જલેબીનો સ્વાદ માણે છે. જો કે તેઓને લાંબી લાઈનમાં ઉભા રહેવું પસંદ ના હોવાથી તેઓ ઓનલાઈન બુકીંગ કરાવે છે.

તલની વાનગીઓનું વેચાણ

ઉત્તરાયણને લઈને પતંગ રસિયાઓ જોરદાર પવનના કારણે આજે મોજમાં છે. બે દિવસ ઉજવાતા આ તહેવારમાં લોકો અગાસી પર પતંગ ચગાવાવની સાથે સાથે તંદુરસ્તી આપતા તલના લાડુ અને ચિક્કીની પણ મઝા માણતા હોય છે. ઉત્તરાયણ પહેલાં જ શહેરમાં હજ્જારો કિલો તલના લાડુ અને ચિક્કીનું વેચાણ થઈ ગયું. કાળા તલની ચિક્કી, લાડુ, દાળિયાના લાડુ ,મમરાના લાડુ સહિતની વાનગીની ડિમાન્ડ પણ વધી છે. શિયાળાની સિઝનમાં સામાન્ય દિવસોમાં શહેરમાં ગોળ માથી બનતી સિંગ, તલ સહિતની વિવિધ વેરાયટીઓની ચિક્કીનું વેચાણ તો થાય જ છે. પરંતુ ઉત્તરાયણ પર્વ પર આ વેચાણ ચાર ઘણું થઈ જાય છે. જો કે આજની સ્માર્ટ ગૃહિણી રસોડામાં જઈને ચિક્કી બનાવવાની માથાકૂટ નથી કરતી અને બજારમાંથી તૈયાર લઈને પર્વની ઉજવણી કરે છે. ઉલ્લેખનીય છે કે બજારમાં વિવિધ પ્રકારની ૪૦ થી વધુ વેરાયટીની ચિક્કી મળે છે.


  • Follow us on: