રાજ્યમાં બનતા વિવિધ ગુનાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે અને મોબાઈલ ચોરીઓના ગુનાનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓને શોધી કાઢવા માટે ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામા આવે છે. ઘણી વખતે મોબાઈલ ફોનના વપરાશ કરનાર સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેમને કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલ છે. જે મોબાઈલ વેચનાર/ખરીદ કરનારને ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી.
જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું
આ બાબતે આવા ગુનાઓના મૂળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે કોઈપણ જુના કે નવા મોબાઈલ વપરાશકારકે તે મોબાઈલ કોની પાસેથી ખરીદેલ અથવા કોને વેચેલ છે? તે જાણવું જરૂરી છે. આથી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ જૂનાં કે નવા મોબાઈલ લે-વેચ કરતા દુકાન ધારકો માટે ગ્રાહકોની જરૂરી વિગતો સાથેનું રજીસ્ટર ફરજીયાત નિભાવવા અંગે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાનો નહી કરી શકાય ભંગ
આ જાહેરનામા અનુસાર, કોઈપણ જુના કે નવા મોબાઈલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઈલ ખરીદતી વખતે મોબાઈલ ફોનની વિગત/કંપની/મોડલ નંબર, IMEI નંબર, મોબાઈલ કોની પાસેથી ખરીદ કરેલ છે તેનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર સહીતની જરૂરી વિગતો તેમજ આઈડી પ્રૂફની વિગતો સાથેનું નિયત નમૂનાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તદુપરાંત જૂનાં કે નવા મોબાઈલ વેચતી વખતે પણ મોબાઈલ ફોનની વિગત/કંપની/મોડલ નંબર, IMEI નંબર, મોબાઈલ કોને વેચેલ છે તેનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર સહીતની જરૂરી વિગતો તેમજ આઈડી પ્રૂફની વિગતો સાથેનું નિયત નમૂનાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧/૦૩/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જો કોઈ ઈસમ ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરશે, તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.