કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે. 14,15,16 જાન્યુઆરી એમ 3 દિવસ અમિત શાહ ગુજરાતમાં રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવશે. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં 2-3 જગ્યાએ અમિત શાહ પતંગોત્સવમાં હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ સંગઠન નવ રચના વચ્ચે અમિત શાહનો ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણાઈ રહ્યો છે. દરમિયાન ભાજપ સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો પણ સંભવ માનવામા આવી રહી છે. સાથે જ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની પસંદગી વિશે પણ બેઠકમાં ચર્ચા સંભવ માનવામાં આવી રહી છે.
ભૂપેન્દ્ર યાદવને સોંપાઈ ગુજરાતની જવાબદારી
તમને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામા આવી છે. જેના અનુસંધાને કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. જયારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી બનાવાયા છે.
સંસદીય વિસ્તારના કાર્યકર સાથે પતંગ ચગાવશે
અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગ ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ 3 દિવસ ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મકરસંક્રાંતિની ઉજવણી કરી શકે છે. મકરસંક્રાંતિના દિવસે તેઓ પરિવાર સાથે અને ત્યારબાદ તેઓ સંસદીય વિસ્તારની મુલાકાતે જતા હોય છે.