સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારો અને ખાસ કરીને વિજયનગર પંથકમાં છેલ્લા બે અઠવાડિયાથી વરસાદે સંપૂર્ણ વિરામ લીધો હતો. ચોમાસાની ઋતુમાં જ લાંબા સમય સુધી મેઘરાજાએ મોં ફેરવી લેતાં વાવણી કરી ચૂકેલા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સિંચાઈના પાણીની અછત અને તડકાના કારણે ઊભા પાક સુકાવાની ભીતિ સેવાઈ રહી હતી. સમગ્ર જિલ્લામાં ઓછો વરસાદ નોંધાયો હોવાથી ખેતી પર મોટું સંકટ તોળાઈ રહ્યું હતું અને ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ધીમીધારના ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક અને ખુશીની લહેર
દરમિયાન, વિજયનગર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને 15 દિવસના લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં. વરસાદના આગમન સાથે જ સમગ્ર પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી. કાળઝાળ ગરમી અને બફારાથી લોકોને મુક્તિ મળી હતી. વરસાદી છાંટા પડતાં જ ધરતીપુત્રોના ચહેરા પર હરખની હેલી જોવા મળી હતી અને ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું હતું.
