સાબરકાંઠા જિલ્લાના અંબાજીથી હડાદ માર્ગ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અંબાજી ખાતે જગતજનની અંબાના દર્શન કરીને પોતાના પરિવાર સાથે સ્કોર્પિયો કારમાં પરત ફરી રહેલા અમદાવાદ ગ્રામ્યના પોલીસકર્મીની કારને અજાણ્યા શખ્સોએ લક્ષ્ય બનાવી હતી. હાઈવે પર અચાનક થયેલા આ ભીષણ પથ્થરમારાના કારણે કારમાં સવાર પરિવારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા આ ઘાતકી હુમલામાં કારનો કાચ તોડીને અંદર આવેલો પથ્થર પોલીસકર્મીના માસૂમ પુત્રને વાગતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ થયેલા બાળકને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે નજીકની ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પવિત્ર યાત્રાધામના માર્ગ પર બનેલી આ સનસનાટીભરી ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
