અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા નજીક બનેલી સિંહના હુમલાની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે. અહીં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા ગયેલા ત્રણ શખ્સો પર વન્યજીવ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 21 વર્ષીય સોહિલ મૂંઝાવર નામના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. વનવિભાગે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કડક વલણ અપનાવી, મૃતક સોહિલ સહિત તેના અન્ય બે મિત્રો યશરાજસિંહ વાજા રાઠોડ અને રેહાનખાન પઠાણ સામે કાયદેસરનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

વીડિયો કોલ કનેક્શન અને રિમાન્ડ દરમિયાન તપાસ

વનવિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે સિંહ દર્શન દરમિયાન વન્યજીવની પજવણી કરવામાં આવી રહી હતી અને મૃતક યુવકે અન્ય મિત્રોને સિંહ લાઈવ બતાવવા માટે મોબાઈલ પર વીડિયો કોલ પણ કર્યો હતો. લીલીયા કોર્ટે પકડાયેલા બંને આરોપીઓ, યશરાજસિંહ અને રેહાનખાનના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન વનવિભાગે ઝીણવટભરી તપાસ કરીને વીડિયો કોલ પર સિંહ દર્શન કરનારા અને વાતચીત કરનારા અન્ય બે યુવકોના નિવેદનો પણ નોંધી લીધા છે.

રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ દ્વારા જેલ હવાલે

આજે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વનવિભાગ દ્વારા તેમને ફરીથી લીલીયા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સિંહની પજવણી અને ગેરકાયદેસર પ્રવેશના પુરાવાઓને આધારે કોર્ટે આ વન્યજીવ અપરાધની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બંને આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. વનવિભાગની આ કડક અને ત્વરિત કાર્યવાહીથી પ્રતિબંધિત વિસ્તારોમાં સિંહ દર્શનના નામે રીલ કે વીડિયો કોલ કરીને વન્યજીવોને પરેશાન કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો