અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કોલડા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વ્યાજબી કારણ વિના પજવણી અને ધમકીઓથી કંટાળીને એક ખેતમજૂર યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવક અનીલભાઈ ઠાકરાલ્યા પર તેમની પત્નીની છેડતી કરવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ખોટા આરોપ હેઠળ 4 શખ્સો દ્વારા કેસ રફેદફે કરવા અને સમાધાન કરવા માટે રૂ.5 લાખની કડક માંગણી કરવામાં આવી રહી હતી.
નાણાંની માંગણી અને જાનથી મારી નાખવાની ધમકી
આરોપીઓ દ્વારા મૃતક યુવક પાસે સતત નાણાં આપવા માટે માનસિક દબાણ કરવામાં આવતું હતું. અનીલભાઈ નાણાં ચૂકવવામાં અસમર્થ હોય, આરોપીઓએ જો પૈસા ન આપે તો તેમને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપી હતી. આ સતત બ્લેકમેઇલિંગ, માનસિક ત્રાસ અને ધમકીઓથી ભારે કંટાળી જઈને અંતે યુવકે પોતાના ખેતરે જઈને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
