અમરેલી જિલ્લાના વડિયા-કુંકાવાવ પંથકમાં હવામાનમાં આવેલા પલટા બાદ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. કુંકાવાવ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે કુંકાવાવના જૂના એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નવા બનેલા આરસીસી રોડની કામગીરી સામે સવાલો

સ્થાનિકોના જણાવ્યા મુજબ કુંકાવાવ જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આરસીસી રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થયાને હજુ માંડ બે મહિના જેટલો સમય થયો છે. માત્ર બે જ મહિનામાં સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતાં તંત્રની કામગીરી અને રોડના નબળા આયોજન સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાણીના નિકાલના અભાવે સ્થાનિકો અને વેપારીઓ પરેશાન

નવા બનેલા આરસીસી રોડ પર વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાઈ રહેતાં સ્થાનિકો અને આસપાસના દુકાનદારો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ તંત્ર પાસે નવનિર્મિત રસ્તા પરથી પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય ગટર કે ડ્રેનેજ લાઈનની વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી કરીને ચોમાસા દરમિયાન વારંવાર સર્જાતી આ સમસ્યામાંથી કાયમી રાહત મળી શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો