અમરેલી જિલ્લાના ચીતલ ગામે વંદે ભારત ટ્રેનને સત્તાવાર સ્ટોપેજ મંજૂર થતાં આજે ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે ટ્રેનના વધામણા કરવામાં આવ્યા હતા. જોકે, બીજી તરફ લાઠી શહેરને આ આધુનિક ટ્રેનનો સ્ટોપ ન મળતાં સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી અને રોષની લાગણી જન્મી છે. ચીતલમાં ટ્રેનના એરાઇવલ વખતે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો, પરંતુ બાજુમાં જ આવેલા ઐતિહાસિક અને મહત્વના લાઠી શહેરને બાદ કરી દેવામાં આવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
દિગ્ગજ નેતાઓ લાઠીના હોવા છતાં ઉપેક્ષા
સ્થાનિક લોકોમાં આક્રોશનું મુખ્ય કારણ એ છે કે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તેમજ સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવિયા પોતે પણ લાઠી તાલુકા સાથે જ સંબંધ ધરાવે છે. આટલા પ્રભાવશાળી રાજકીય નેતાઓ હોવા છતાં લાઠી શહેરને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ અપાવી શકાયું નથી. નેતાઓની નિષ્ક્રિયતા સામે પ્રજામાં ભારે ગણગણાટ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
