અમરેલી જિલ્લાના ચાંદગઢ સીમ વિસ્તારમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. વન વિભાગના ત્રણ ટ્રેકર્સની ટીમ જ્યારે પોતાના રૂટિન મુજબ સીમ વિસ્તારમાં સ્કેનિંગ અને ચોકીયાતની કામગીરી કરી રહી હતી, ત્યારે અચાનક એક સિંહણે તેમના પર હુમલો કરી દીધો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, આ સિંહણ શેત્રુંજી નદી પાર કરીને આ વિસ્તારમાં આવી પહોંચી હતી અને અચાનક સામે આવી જતાં ટ્રેકર્સ પર ત્રાટકી હતી.

ટ્રેકર ગોસાભાઈ હુમલામાં ઈજાગ્રસ્ત

સિંહણના આ અચાનક હુમલામાં વન વિભાગના ટ્રેકર ગોસાભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સાથે રહેલા અન્ય ટ્રેકર્સે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને ગોસાભાઈને સિંહણના પંજામાંથી છોડાવ્યા હતા. ઘટનાને પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ

ઈજાગ્રસ્ત ગોસાભાઈને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે અમરેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના બનતા જ સ્થાનિક સીમ વિસ્તાર અને વન વિભાગના કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલ વન વિભાગ દ્વારા આ સિંહણની ગતિવિધિઓ પર નજર રાખવા માટે વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gandhinagar News : દહેગામમાં ધોળા દિવસે અપહરણ! સોસાયટીમાંથી સાયકલ લઈને નીકળતા જ યુવકને ઉપાડી ગયા