અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભાના ઇંગોરાળા, અનિડા, કોટડા અને મોટા સમઢીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસળધાર વરસાદ પડતાં ખેતરોના વોકળાઓ છલકાઈ ગયા હતા. આ ભારે વરસાદને કારણે અનિડા ગામની સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઈ હતી, જેનાથી સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

સાવરકુંડલા પંથકમાં પણ મેઘાની ધમાકેદાર એન્ટ્રી 

ખાંભા ગીર બાદ સાવરકુંડલા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તાર એવા શેલણા પાર્ટી, મોટા ભમોદરા, મેકડા અને બોરાળા સહિતના ગામોમાં બપોર પછી મુસળધાર વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના એકથી વધુ તાલુકાઓમાં એકસાથે વરસાદી માહોલ જામતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ચોમાસુ માહોલ વધુ ગાઢ બન્યો હતો.

મુરઝાતી મોલાતને મળ્યું નવું જીવનદાન

અમરેલી જિલ્લામાં લાંબા સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આ સાર્વત્રિક વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન અને ડુંગળી સહિતના પાકને મોટો ફાયદો થયો છે. સુકાઈ રહેલા પાકને આ વરસાદથી નવું જીવનદાન મળતાં ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી છે. ખાંભા અને સાવરકુંડલામાં થયેલી આ મેઘમહેરથી સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં સારા ઉત્પાદનની નવી આશા જાગી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો