અમરેલી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડને 22 વર્ષ જૂના ગંભીર વન ગુનામાં મોટી સફળતા સાંપડી છે. ધારીની દલખાણીયા વન રેન્જમાં વર્ષ 2004માં નોંધાયેલા ફોરેસ્ટ કેસમાં નાસતા-ફરતા એક જ પરિવારના ચાર આરોપીઓને પોલીસે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને વાસણા ગામેથી દબોચી લીધા છે.
22 વર્ષથી ફરાર આરોપીઓ ઝડપાયા
આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આરોપી નીરજ વ્યાસ પોતાની ખરી ઓળખ છુપાવીને 'નીરજાનંદ સ્વામી' નામ ધારણ કરી લીધું હતું. તે છોટાઉદેપુરના વાસણા ગામે આશ્રમ બનાવીને સાધુના વેશમાં રહી કાયદાની આંખમાં ધૂળ નાખી રહ્યો હતો. જોકે, અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને તેની પોલ ખોલી નાખી હતી.
આરોપી નીરજ વ્યાસ 'નીરજાનંદ સ્વામી' બની આશ્રમ ચલાવતો
વર્ષ 2004માં ધારીના દલખાણીયા રેન્જ વિસ્તારમાં વન વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરવા અને સરકારી વન સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અને તેના 2004ના સુધારા અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ ગુનામાં સંડોવાયેલા હર્ષદ વ્યાસ, સમીર વ્યાસ, નીરજ વ્યાસ અને મુકેશ વ્યાસ વર્ષ 2004થી લઈને આજદિન સુધી કાયદાકીય પ્રોસેસ અને કોર્ટ ટ્રાયલથી નાસતા ફરતા હતા. છેલ્લા 22 વર્ષથી પોલીસને ચકમો આપી રહેલા આ ચારેય આરોપીઓને પકડી પાડીને અમરેલી પોલીસે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Gadhinagar: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPS ને ASP તરીકે પોસ્ટિંગ