આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર રસ્તાઓ ખુલ્લા કરવાના હેતુથી દબાણ હટાવવાનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત મનપાની ટીમે ખાટકીવાડ વિસ્તારને નિશાન બનાવીને જાહેર માર્ગ પર લાંબા સમયથી ખડકાયેલા કાચા અને પાકા દબાણો પર તંત્રનો હથોડો ઝીંક્યો હતો. જેસીબી અને બુલડોઝરની મદદથી ગેરકાયદેસર બાંધકામો, પતરાના શેડ અને રસ્તા પર અવરોધરૂપ બનેલા ઓટલા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સફળ કામગીરી

ઓપરેશન દરમિયાન સ્થળ પર કોઈ ઘર્ષણ કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી. મનપાની આ કડક કામગીરીથી ખાટકીવાડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ વર્ષો પછી ખુલ્લા અને પહોળા બન્યા છે, જેનાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ટ્રાફિકની મુશ્કેલીમાંથી મોટી રાહત મળશે.

તંત્રનું અભિયાન આગળ પણ રહેશે યથાવત 

આણંદ મનપાના અચાનક હાથ ધરાયેલા મેગા ઓપરેશનને પગલે શહેરના અન્ય વિસ્તારોના ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી અહીં અટકશે નહીં. આવનારા દિવસોમાં પણ શહેરના અન્ય વેપારી અને રહેણાંક વિસ્તારોમાં આ જ પ્રકારે દબાણો દૂર કરવાનું અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો