આણંદ રેલ્વે સ્ટેશન નજીક એક મોટી અને ચિંતાજનક દુર્ઘટના સામે આવી છે. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી માલગાડીના બે ડબ્બા અચાનક ટ્રેક પરથી નીચે ઉતરી જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના આણંદ નજીક આવેલા ભાલેજ ઓવરબ્રિજ પાસે બની હતી. માલગાડી ચાલુ ટ્રેને પાટા પરથી નીચે ઉતરી જતાં અચાનક મોટો અવાજ થયો હતો, જેના કારણે રેલ્વે તંત્ર અને આસપાસના વિસ્તારમાં ભારે સળવળાટ મચી ગયો હતો.
રેલ્વે અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા
ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ખસી જવાની જાણ થતાં જ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળાં પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે રેલ્વે ટ્રાફિકને અસર ન પહોંચે તે માટે અધિકારીઓ દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવ્યા હતા અને પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા.
