અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવલપુર ગામ નજીક ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (ST)ની એક બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના રાણીપ ડેપોથી મોડાસા તરફ જઈ રહેલી એસટી બસ માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક ઊંટ બસની આડે આવી ગયું હતું. ચાલુ બસે ઊંટ સાથે થયેલી આ ભયાનક ટક્કરમાં ઊંટનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જો કે, સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.


ધડાકાભેર ટક્કર સાથે બસનો આગળનો કાચ તૂટ્યો

અકસ્માતની વિગત એવી છે કે રાણીપ-મોડાસા રૂટની એસટી બસ જ્યારે ધનસુરાના નવલપુર હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક મોટું ઊંટ દોડીને બસની સામે આવી ગયું હતું. બસ ચાલકે બ્રેક મારવાનો પૂરતો પ્રયાસ કર્યો હોવા છતાં ઊંટ બસના આગળના ભાગે ધડાકાભેર અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસની બોનેટના ભાગને નુકસાન થયું હતું અને આગળનો મુખ્ય કાચ કડડભૂસ થઈને તૂટી ગયો હતો.

અચાનક ઊંટ સામે આવી જતાં ધડાકાભેર અકસ્માત

આ અકસ્માત સર્જાતા જ બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને ભારે ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. અકસ્માત સમયે એસટી બસમાં 15 કરતાં વધારે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. સદભાગ્યે, બસ ચાલકની સમયસૂચકતા અને સતર્કતાને કારણે બસ પલટી ખાતા કે રોડ નીચે ઉતરી જતા બચી ગઈ હતી, જેથી તમામ 15થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: