અરવલ્લી જિલ્લામાં નકલી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા 'એનાલોગ પનીર'ના વેચાણને લઈને જાગેલા વિવાદ વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. મોડાસા તાલુકામાં ભેળસેળયુક્ત અને એનાલોગ પનીરનું વેચાણ થતું હોવાની આશંકાને પગલે તંત્ર દ્વારા મોટા પાયે સઘન તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓની ટીમે મોડાસા શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલી કુલ 11 જેટલી વેપારી પેઢીઓ પર અચાનક રેડ કરીને ચેકિંગ હાથ ધર્યું હતું.
હોટલો અને રેસ્ટોરન્ટ્સમાંથી પનીર તથા પેડાના 9 સેમ્પલ લેવાયા
આ ખાસ ઝુંબેશ અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસરોએ મોડાસા શહેર તેમજ હાઈવે પર આવેલી જાણીતી હોટલો, દાબા અને રેસ્ટોરન્ટ્સમાં કડક સર્વેલન્સ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતી વાનગીઓ અને સામગ્રીના કુલ 9 જેટલા નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. આ સેમ્પલ્સમાં સામાન્ય પનીર, પ્રોસેસ્ડ પનીર અંગારા તેમજ મીઠાઈમાં વપરાતા પેડાના નમૂનાઓનો સમાવેશ થાય છે.

