બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અમીરગઢના કિડોતર ગામમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ.9.87 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા છે. શાતિર ચોરોએ મકાનના નળિયા હટાવીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ચોરી આચરી હતી. ઘટનાની જાણ થતાં જ સમગ્ર અમીરગઢ પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતની મત્તા ગાયબ
તસ્કરોએ મકાનમાં મુકેલી રોકડ રકમ તેમજ કિંમતી સોના-ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂ. 9.87 લાખના મુદ્દામાલ પર હાથફેરો કર્યો હતો. સવારે મકાનમાલિકને ચોરી થઈ હોવાની જાણ થતાં તેમણે તુરંત અમીરગઢ પોલીસને જાણ કરી હતી. મોટો મુદ્દામાલ ચોરી થયો હોવાની માહિતી મળતાં જ જિલ્લા પોલીસનો ક્વાફલો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
