બનાસકાંઠામાંથી પસાર થતા મહત્ત્વના કંડલા હાઇવે પર ભારે વાહનોની કિલોમીટરો સુધી લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજસ્થાન સરકાર દ્વારા સિરોહી, રેવદર અને અનાદરા/મંદારને સાંકળતા નેશનલ હાઇવે 168 પર ભારે વાહનોની અવરજવર અંગે નવો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે, જેની સીધી અસર ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારના વાહનવ્યવહાર પર પડી છે.
સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશબંધી
રાજસ્થાન તંત્રના આદેશ અનુસાર, રેવદર થી માંડીને મંદાર સુધીના માર્ગ પર સવારના 7:00 વાગ્યાથી લઈને રાત્રિના 9:00 વાગ્યા સુધી મોટા અને ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આટલા લાંબા સમય સુધી પ્રવેશબંધી હોવાના કારણે માલસામાન ભરીને જતા ટ્રક અને કન્ટેનર ચાલકો વચ્ચે રસ્તામાં જ અટવાઈ પડતાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

