બનાસકાંઠા જિલ્લા તેમજ વાવ અને થરાદ પંથકમાં IRM CNG પમ્પ સંચાલકો અને કંપની વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. શનિ અને રવિવારની રજાઓ દરમિયાન બહારથી આવતા વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તેવા માનવતાવાદી અભિગમ સાથે ડીલરોએ કંપનીને વધુ 2 દિવસનું અલ્ટીમેટમ આપવાનો નિર્ણય કર્યો છે.
19 ઓગસ્ટે 1 દિવસ માટે સમગ્ર જિલ્લામાં CNG પમ્પ રહેશે બંધ
પમ્પ સંચાલકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો 18 ઓગસ્ટ સુધી તેમની પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવે, તો 19 ઓગસ્ટના રોજ બનાસકાંઠા તેમજ વાવ-થરાદ વિસ્તારના તમામ IRM CNG પમ્પ સંચાલકો 1 દિવસ માટે પોતાના પમ્પ સંપૂર્ણપણે બંધ રાખશે.
અનિશ્ચિત મુદતની હડતાળની કડક ચીમકી
એક દિવસીય સંકેતિક બંધ બાદ સંચાલકો દ્વારા કંપનીને એક સપ્તાહનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પણ જો કમિશન અને ભાવ અંગે સંતોષકારક નિર્ણય નહીં લેવાય, તો બનાસકાંઠાના તમામ IRM CNG પમ્પો અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવશે.

કમિશન વધારા અને ભાવ સમાનતાની મુખ્ય માંગણીઓ
IRM ડીલરો મુખ્યત્વે પોતાના કમિશનમાં વધારો કરવા તેમજ અન્ય જિલ્લાઓની સરખામણીએ બનાસકાંઠામાં પણ CNG ના ભાવ સમાન રાખવાની વ્યાજબી માગ સાથે આંદોલનના માર્ગે ચડ્યા છે. ડીલરોના આ નિર્ણયથી આગામી દિવસોમાં વાહનચાલકોને સીએનજી મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી શકે છે.
આ પણ વાંચો - 16 August Top News: 16 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ