બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામેથી ગુજરાત ATS દ્વારા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરવામાં આવ્યા બાદ સમગ્ર પંથકમાં સનાટો અને ભારે રોષ વ્યાપી ગયો છે. આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના વિરોધમાં હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ખુલ્લેઆમ મેદાને આવ્યા છે, અને આતંકવાદી તત્વો સામે કડક પગલાં લેવાની માગ કરી રહ્યા છે.
VHPની વિશાળ રેલી: કલેક્ટર કચેરી ગુંજી ઉઠી
આતંકવાદના વિરોધમાં અને દેશવિરોધી પ્રવૃત્તિઓ ડામી દેવાના આહવાન સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં પાલનપુરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. VHP દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના નારાઓ સાથે આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કાર્યકરોએ કલેક્ટરને રૂબરૂ મળીને એક ઉગ્ર આવેદનપત્ર પાઠવ્યું હતું.


