ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા ડ્રગ્સ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહેલા 'Pentazocine Lactate Injection IP 30 mg/ml' ના જથ્થાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઈન્જેક્શનો કોઈ પણ ડૉક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર રીતે લોકોને વેચવામાં આવી રહ્યા હતા, જે નશાના આસપાસના કારોબાર સાથે જોડાયેલા હોવાની આશંકા છે.

ઈન્જેક્શન સાથે ભંગારના વેપારીની ધરપકડ 

ANTFની આ કામગીરી દરમિયાન ભંગારના વેપારી સરફરાજ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી કુલ 540 નંગ 'Pentazocine Lactate' ઈન્જેક્શનનો જથ્થો કબજે કરીને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેરકાયદેસર ઈન્જેક્શનનો જથ્થો મુંબઈના આશુતોષ પાંડે નામના ઈસમ દ્વારા મોકલવામાં આવ્યો હતો.

NDPS એક્ટ હેઠળ ભરૂચ B-ડિવિઝનમાં ગુનો દાખલ

આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ ભરૂચ B-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ (NDPS Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભરૂચ પોલીસ અને ANTF દ્વારા મુંબઈ સ્થિત સપ્લાયર આશુતોષ પાંડેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ડ્રગ્સ અને નશાકારક દવાઓના નેટવર્કને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે તંત્ર દ્વારા આગળની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો