ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ચોમાસુ પાક માટે અત્યંત જરૂરી એવા ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જંબુસર ખાતર વિતરણ કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ આસપાસના ગામડાઓમાંથી સેંકડો ખેડૂતો ઉમટી પડ્યા હતા. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ વિતરણ કેન્દ્ર બહાર મોટો હોબાળો મચાવ્યો હતો. પોતાની જરૂરિયાત મુજબ જથ્થો ન મળતાં ખેડૂતોમાં વહીવટી તંત્ર સામે ભારે અસંતોષ અને રોષ વ્યાપી ગયો હતો.  

'ઓગસ્ટ માસમાં 150 મેટ્રિક ટન ખાતર મોકલાયું' - નાયબ ખેતી નિયામક

ખાતરની અછત અને ખેડૂતોની લાંબી લાઈનોના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ કૃષિ વિભાગ દોડતું થઈ ગયું હતું. આ સમગ્ર મામલે ભરૂચ જિલ્લાના નાયબ ખેતી નિયામકે અધિકૃત નિવેદન આપતાં જણાવ્યું હતું કે, જંબુસર તાલુકામાં ખાતરની કોઈ કૃત્રિમ અછત નથી. ચાલુ ઓગસ્ટ માસમાં જ અત્યાર સુધીમાં 150 મેટ્રિક ટન ખાતરનો જથ્થો જંબુસરમાં સપ્લાય કરવામાં આવ્યો છે. પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવા છતાં એકસાથે વધુ સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ જવાથી આ સમસ્યા સર્જાઈ છે.

Bharuch News: Long Queues for Fertilizer in Jambusar; Deputy Director of Agriculture Issues Clarification

100 ખેડૂતોને ટોકન અપાયા, સ્પેન્શિયલ કેસમાં વધારાનો જથ્થો મંગાવાયો

સ્થિતિને થાળે પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવ્યા છે. નાયબ ખેતી નિયામકના જણાવ્યા મુજબ, વિતરણ કેન્દ્ર પર શિસ્તબદ્ધ રીતે કામગીરી થાય તે માટે પ્રથમ તબક્કે 100 જેટલા ખેડૂતોને ટોકન ફાળવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક માગને પહોંચી વળવા માટે સ્પેશિયલ કેસ તરીકે વિવિધ ખાતર ઉત્પાદક કંપનીઓ પાસેથી વધારાના જથ્થાનો સપ્લાય પણ તાત્કાલિક ધોરણે મંગાવવામાં આવ્યો છે.

https://twitter.com/sandeshnews/status/2086794917050044603

મોડી રાત સુધી ખાતર વિતરણ ચાલુ રખાશે

ખેડૂતોને ખાલી હાથે પરત ન ફરવું પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કૃષિ અધિકારીએ ખાતરી આપતાં જણાવ્યું છે કે, જે ખેડૂતો વિતરણ કેન્દ્ર પર આવ્યા છે તે તમામ લોકોને ખાતર મળી રહે તે માટે મોડી રાત સુધી વિતરણ કામગીરી ચાલુ રાખવામાં આવશે. તંત્ર દ્વારા ખેડૂતોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખી વારાફરતી પોતાનો જથ્થો મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો