ભાવનગરના કુંભારવાડામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. એક અત્યંત જૂનું અને જુનવાણી મકાન અચાનક જ ધડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું. મકાન ધસી પડવાના ભયાનક અવાજને પગલે આસપાસના રહીશોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટના સમયે મકાનમાં હાજર એક જ પરિવારના 3 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમાં એક 2 વર્ષનું માસૂમ બાળક પણ ફસાઈ ગયું હતું. ભારે જહેમત બાદ જવાનોએ પોતાના જીવના જોખમે કાટમાળ હટાવીને બાળક સહિત ત્રણેય લોકોને જીવતા બહાર કાઢ્યા હતા.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડાયા
કાટમાળમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવેલા ત્રણેય ઇજાગ્રસ્તોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાથી ઘટનાસ્થળે હાજર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ભાવનગરની સર ટી. (સર તખ્તસિંહજી) જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે ફાયર વિભાગની ત્વરિત કામગીરી અને સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે આટલી મોટી દુર્ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી અને ત્રણેય સભ્યોનો આબાદ બચાવ થયો છે. હાલ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત બાળકના પરિવારની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
