ભાવનગરના કુંભારવાડામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. એક અત્યંત જૂનું અને જુનવાણી મકાન અચાનક જ ધડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું. મકાન ધસી પડવાના ભયાનક અવાજને પગલે આસપાસના રહીશોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટના સમયે મકાનમાં હાજર એક જ પરિવારના 3 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમાં એક 2 વર્ષનું માસૂમ બાળક પણ ફસાઈ ગયું હતું. ભારે જહેમત બાદ જવાનોએ પોતાના જીવના જોખમે કાટમાળ હટાવીને બાળક સહિત ત્રણેય લોકોને જીવતા બહાર કાઢ્યા હતા.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડાયા

કાટમાળમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવેલા ત્રણેય ઇજાગ્રસ્તોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાથી ઘટનાસ્થળે હાજર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ભાવનગરની સર ટી. (સર તખ્તસિંહજી) જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે ફાયર વિભાગની ત્વરિત કામગીરી અને સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે આટલી મોટી દુર્ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી અને ત્રણેય સભ્યોનો આબાદ બચાવ થયો છે. હાલ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત બાળકના પરિવારની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

તંત્રની ઘોર બેદરકારી સામે રહીશોમાં ભારે રોષ

કુંભારવાડાના સ્થાનિક રહીશોમાં મહાનગરપાલિકાના તંત્ર સામે ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે શહેરમાં અનેક જુનવાણી અને જર્જરિત મકાનો મોત બનીને ઉભા છે, તેમ છતાં ભાવનગર કોર્પોરેશનનું તંત્ર કેમ લાલઆંખ નથી કરતું? લોકોને નોટિસો આપવા સિવાય તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર હજી પણ કોઈ મોટી દુર્ઘટના અને માસૂમોના મોહની રાહ જોઈ રહ્યું છે? ચોમાસાની ઋતુમાં આવા જર્જરિત મકાનો ગમે ત્યારે ખાબકી શકે છે, ત્યારે તંત્ર વહેલી તકે જાગે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો