ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલીતાણાના વડીયા ગામ નજીકથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર શિક્ષકને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચલાવી રહેલા શિક્ષકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ધોળા દિવસે બનેલી આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
બાઈક સવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ
આ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ વ્યવસાએ શિક્ષક હતા. તેમનું નામ અશ્વિનભાઈ ચાવડા હતું. તેઓ પોતાના મોટરસાયકલ પર સવાર થઈને જઈ રહ્યા હતા તે દરમિયાન વડીયા નજીક આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે અશ્વિનભાઈએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. એક કર્મનિષ્ઠ શિક્ષકના અકાળે અવસાનના સમાચાર વહેતા થતાં જ સમગ્ર પંથકના શિક્ષણ આલમમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
