ભાવનગર શહેરમાં દારૂનું સેવન કરવાના કારણે એક વ્યક્તિનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ખળભળાટ મચી ગયો છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા દર્દીનું ગત રાત્રિના સમયે મોત નીપજ્યું હતું. દારૂ પીવાથી મોત થયું હોવાના પ્રાથમિક આક્ષેપો ઉઠતાં જ પોલીસ તંત્ર ત્વરિત એક્શન મોડમાં આવી ગયું છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તપાસનો દોર શરૂ કર્યો છે.
મૃતકના સેમ્પલ ગાંધીનગર FSLમાં મોકલાયા
આ ગંભીર મામલે માહિતી આપતાં નાયબ પોલીસ અધીક્ષક (DySP) એ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. વાસ્તવિક અને ચોક્કસ કારણ જાણવા માટે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) કરાવવામાં આવ્યું છે. તદુપરાંત, પૃથક્કરણ માટે સેમ્પલ મેળવીને ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલવામાં આવ્યા છે. એફએસએલનો અધિકૃત રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
