ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાં ગત રાત્રે એક મોટી દુર્ઘટના ઘટતા-ઘટતા અટકી હતી. અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા મકાનનો એક મોટો ભાગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. મકાનનો દાદર કડાકાભેર તૂટી પડતાં જ આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
રાત્રિના સમયે અચાનક દાદર તૂટી પડ્યો
મળતી વિગતો અનુસાર, ભાવનગરના ભરતનગર સ્થિત શિવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના વર્ષો જૂના ત્રણ માળિયા આવાસો આવેલા છે. આ સરકારી મકાનો લાંબા સમયથી અત્યંત બિસ્માર અને જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયા છે. ગત રાત્રિના સમયે અચાનક આ બિલ્ડિંગનો મુખ્ય દાદર (સીડીનો ભાગ) પ્રચંડ અવાજ સાથે તૂટી પડ્યો હતો. મોડી રાત્રે થયેલા આ ધડાકાને કારણે ભૂકંપ આવ્યો હોવાના ડરે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
