બોટાદના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે પવિત્ર શ્રાવણ માસ અને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના સમન્વય સાથે શ્રી કષ્ટભંજનદેવ દાદાનો વિશેષ ત્રિરંગા શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. શ્રી હનુમાનજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપોને આકર્ષક રીતે સુશોભિત કરી મંદિર પરિસરમાં પણ ત્રિરંગા થીમની સજાવટ કરાઈ હતી.

દિવ્ય શિવલિંગ, ટેડી બેર અને કેક બન્યા આકર્ષણનું કેન્દ્ર

આ અવસરે દાદાને કેળા, સફરજન, કેરી, ચીકુ, પપૈયા, જામફળ, મોસંબી અને અનાનાસ સહિત વિવિધ ફળોનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ભવ્ય ઉજવણી દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિશેષ કલાત્મક આકર્ષણો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં કાળી દ્રાક્ષ અને વિવિધ ફળોના ઉપયોગથી બનાવેલું દિવ્ય શિવલિંગ, તાજા ફળોમાંથી તૈયાર કરાયેલું ટેડી બેર તેમજ ત્રિરંગા થીમની વિશાળ કેક ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. આ ઉપરાંત, મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું.

Unique devotion at Salangpur Hanumanji Temple

શ્રાવણી હિંડોળા દર્શનનો મંગલ પ્રારંભ

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રીહરિ મંદિરમાં દિવ્ય અને ભવ્ય શ્રાવણી હિંડોળા દર્શનનો પણ મંગલ પ્રારંભ થયો હતો. સાળંગપુરધામના સંતો અને હરિભક્તોએ સતત ત્રણ મહિના સુધી અથાક ભક્તિભાવપૂર્વક મહેનત કરીને આ નયનરમ્ય હિંડોળા તૈયાર કર્યા છે. અદભુત કલાત્મક સજાવટ, ઝીણવટભર્યું કોતરણી કામ અને શ્રીજી મહારાજના મનોહર સ્વરૂપના દર્શન કરીને દેશ-વિદેશથી આવેલા હરિભક્તો ભાવવિભોર બન્યા હતા. સાળંગપુરધામ ખાતે યોજાયેલા આ ત્રિરંગા શણગાર, ફળ-અન્નકૂટ અને હિંડોળા દર્શનનો લાભ લઈ હજારો ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો