અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડિડા ગામે પિતા અને પુત્રીના મોતની કરૂણ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, 5 વર્ષની પુત્રી હિમાંશીના મોત બાદ તેના પિતા કિશોરભાઈએ પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
રહેણાંક મકાનમાંથી બંનેના મૃતદેહ મળ્યા
મળતી માહિતી મુજબ, પિતા કિશોરભાઈએ કથિત રીતે પુત્રીનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ તેમણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જોકે, સમગ્ર ઘટનાનું સાચું કારણ પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.
આર્થિક સંકડામણની આશંકા
પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણના કારણે આ પગલું ભરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ બાબતે પોલીસ તરફથી અંતિમ પુષ્ટિ કરવામાં આવી નથી. બંને મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.
સાવરકુંડલા રૂરલ પોલીસની તપાસ
ઘટનાની જાણ થતાં સાવરકુંડલા રૂરલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે બંનેના મોત અંગેની હકીકત બહાર આવશે.
આ પણ વાંચો : Vav-Tharad : કોમેડી કિંગ ‘ગુજ્જુ લવ ગુરુ’નું અકસ્માતમાં મોત, ભાભર-સુઈગામ હાઈવે પર બે બાઈક અથડાતાં કરૂણાંતિકા