ગીર સોમનાથના સુત્રાપાડામાં આશ્રમ શાળાના સગીર વિદ્યાર્થીના શંકાસ્પદ મોત મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મૃતક બાળકના મામાની ફરિયાદના આધારે પોલીસે આશ્રમ શાળાના સંચાલક અને ગૃહપતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. FIR નોંધાયા બાદ પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.

કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

વિદ્યાર્થીના મોતના સમાચાર બાદ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો સુત્રાપાડા ખાતે એકઠા થયા હતા. પરિવાર અને સમાજના આગેવાનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યાં સુધી ફરિયાદ નોંધવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આખરે પોલીસે પરિવાર અને સમાજના આગેવાનોની માંગ મુજબ ગુનો નોંધતા પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.

હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ મોત, પરિવારને મોડેથી જાણ

પ્રાથમિક માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી ગઈકાલે સાંજે આશરે 4 વાગ્યે હોસ્ટેલમાંથી નીકળી ગયો હતો. જોકે, ઘટનાની જાણ પરિવારને મોડેથી કરવામાં આવતા પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. વિદ્યાર્થીના મોત અંગે અનેક સવાલો હજુ પણ અકબંધ છે.

CCTV DVR કબજે, મોતનું રહસ્ય ઉકેલવા તપાસ તેજ

પોલીસે આશ્રમ શાળા અને ઘટના સ્થળના CCTV કેમેરાનું DVR કબજે કર્યું છે. વિદ્યાર્થી હોસ્ટેલમાંથી ક્યારે અને કેવી રીતે નીકળ્યો, ત્યારબાદ તેની સાથે શું બન્યું અને પરિવારને જાણ કરવામાં વિલંબ કેમ થયો તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે.

પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી

હાલ પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. સગીર વિદ્યાર્થીના મોત પાછળનું સાચું કારણ શું છે અને તેમાં કોઈની બેદરકારી કે જવાબદારી છે કે કેમ તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’