આણંદ જિલ્લાના ખંભાત દરિયાઈ તટ પરથી એક માનવ કંકાલ મળી આવવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. દરિયો ખેડવા માટે ગયેલા સ્થાનિક માછીમારોને આ કંકાલ અંગે જાણ થઈ હતી, ત્યારબાદ તાત્કાલિક એસઆરડી જવાનોને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જવાનો દ્વારા ખંભાત પોલીસ સ્ટેશનને આ અંગે માહિતી આપતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માછીમારોએ માનવ કંકાલ જોયું

પ્રાપ્ત માહિતી અનુસાર, માછીમારો જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં હતા ત્યારે તેમને આ માનવ કંકાલ નજરે પડ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ માનવ કંકાલ કોનું છે? વ્યક્તિનું કુદરતી મોત થયું છે, હત્યા કરવામાં આવી છે કે પછી તેણે આત્મહત્યા કરી છે? તે તમામ બાબતો હાલ પોલીસ માટે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.

કંકાલની ઓળખ મેળવવાની તજવીજ 

પોલીસે ફોરેન્સિક તપાસ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓની મદદથી કંકાલની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આસપાસના વિસ્તારમાં કોઈ વ્યક્તિ લાપતા થઈ છે કે કેમ તેની પણ પોલીસ દ્વારા ખાતરી કરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસ બાદ જ આ રહસ્ય પરથી પડદો ઉચકાશે અને સાચી હકીકત બહાર આવશે.  


આ પણ વાંચો  :  Sandesh Indepth : 12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ?