આણંદ જિલ્લાના ખંભાત દરિયાઈ તટ પરથી એક માનવ કંકાલ મળી આવવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. દરિયો ખેડવા માટે ગયેલા સ્થાનિક માછીમારોને આ કંકાલ અંગે જાણ થઈ હતી, ત્યારબાદ તાત્કાલિક એસઆરડી જવાનોને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જવાનો દ્વારા ખંભાત પોલીસ સ્ટેશનને આ અંગે માહિતી આપતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માછીમારોએ માનવ કંકાલ જોયું
પ્રાપ્ત માહિતી અનુસાર, માછીમારો જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં હતા ત્યારે તેમને આ માનવ કંકાલ નજરે પડ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ માનવ કંકાલ કોનું છે? વ્યક્તિનું કુદરતી મોત થયું છે, હત્યા કરવામાં આવી છે કે પછી તેણે આત્મહત્યા કરી છે? તે તમામ બાબતો હાલ પોલીસ માટે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.
