ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રાજા રણછોડરાયજીના ધામ ખાતે કૃષ્ણ જન્માષ્ટમી પર્વની અત્યંત ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે ડાકોરમાં દેશ-વિદેશથી હજારો ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેના કારણે મંદિર પરિસરમાં હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. શ્રદ્ધાળુઓની લાગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને શ્રીજીના દર્શન માટે આખી રાત મંદિરના દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. મોડી રાત સુધી ભક્તોએ કાનુડાના દિવ્ય દર્શનનો લહાવો લીધો હતો.
ગગનભેદી નારાઓ સાથે ભક્તિમય વાતાવરણ અને યુવાનોમાં અનોખો ઉત્સાહ
જન્માષ્ટમીની મોડી રાત્રે કાનુડાના જન્મની ક્ષણે સમગ્ર ડાકોર નગરી 'નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી' અને 'હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત યુવાનો અને યુવતીઓ સહિત તમામ શ્રદ્ધાળુઓ ઢોલ-નગારાના તાલે નાચતા-ગાતા કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.



