અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાં આવેલા ત્રાંસદ રોડ પરના બુટભવાની વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ઘૂસી જતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોના ગંભીર આક્ષેપ મુજબ, પાળો તોડી નાખવામાં આવતાં આ ઝેરી પાણી ગામ તરફ વળ્યું હતું. ધોધમાર વરસાદ વચ્ચે પણ રોષે ભરાયેલા લોકો મોટી સંખ્યામાં કોનકોર્ડ કંપનીના ગેટ સામે બેસી ગયા હતા અને કંપનીની ખાનગી બસો રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વર્ષો જૂની સમસ્યા અને ચામડીના રોગોનું જોખમ

ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી કેમિકલયુક્ત પાણીની આ સમસ્યા યથાવત રહી છે, જેના કારણે ગામમાં ભયાનક રોગચાળાની સ્થિતિ સર્જાઈ રહી છે. દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી સ્થાનિક લોકોમાં ચામડીના ગંભીર રોગો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. ભેટાવાડામાં પણ આ અંગે આંદોલન ચાલી રહ્યું હોવા છતાં તંત્ર કે કંપની દ્વારા કોઈ કાયમી ઉકેલ ન લાવવામાં આવતાં હવે બુટભવાની ગામમાં પણ આ દૂષિત પાણી ફરી વળ્યું છે.

દૂષિત પાણીનો પ્રવાહ રોકી કાયમી નિકાલ કરવાની માંગ

ભારે વરસાદમાં પણ ગેટ આગળ ધામા નાખીને બેસેલા ગ્રામજનોની એક જ સ્પષ્ટ માંગ છે કે કેમિકલયુક્ત પાણીનો આ પ્રવાહ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. ગ્રામજનોએ તંત્ર અને કંપની શાસન સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગામમાં ફરી ક્યારેય આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાં અટકાવી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો