રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ એક અત્યંત આશ્ચર્યજનક અને અદ્ભુત ઘટના સામે આવી છે. ધોરાજીના ઝાંઝમેર ગામે આવેલી સ્થાનિક ખેડૂત સુભાષભાઈ વૈષ્ણવીની વાડીમાં કૌતુક સર્જાયું છે. તેમની વાડીમાં આવેલા બોરવેલમાંથી ઈલેક્ટ્રિક મોટર ચાલુ કર્યા વિના જ સ્વયંભૂ રીતે પાણીના ઊંચા-ઊંચા ફુવારા ઉડી રહ્યા છે. વરસાદના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા સર્જાયેલી આ ઘટનાથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.
કુદરતી નજારો જોવા લોકોના ટોળેટોળાં દોડ્યા
વાડીમાં આવેલા બોરવેલમાંથી દર થોડા સમયના અંતરે કુદરતી રીતે પાણીનો પ્રવાહ બળપૂર્વક બહાર ઉછળી રહ્યો છે. મોટર કે પંપ વગર જ પૂરઝડપે ઉડી રહેલા પાણીના ફુવારાનો આ નજારો આસપાસના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય પોતાની નજરે નિહાળવા માટે ઝાંઝમેર તેમજ આજુબાજુના ગામોમાંથી લોકોના ટોળેટોળાં સુભાષભાઈની વાડી તરફ દોડી રહ્યા છે.
