કચ્છના ગાંધીધામના જાણીતા વેપારીનું અપહરણ કરી રૂ.5.55 કરોડની અધધ ખંડણી વસૂલવાના ચર્ચિત પ્રકરણમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. ગુજરાત એટીએસ (ATS) અને પંજાબ એસટીએફ (STF) ના સંયુક્ત સર્ચ ઓપરેશન દ્વારા પંજાબથી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ અને જામનગરથી પણ અન્ય સહ-આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હાઇ-પ્રોફાઇલ કેસમાં અગાઉ 10 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે.

પોલીસે રૂ.4.30 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

જ્યારે હવે વધુ 5 આરોપીઓ જાવેદ અભુ સાયચા, સોહિલ જુસબ બુચડ, રિઝવાન હુશેન કિચા, મુનાવર બુચડ અને નાગજી દેસાઈની ધરપકડ કરાતાં કુલ ધરપકડનો આંકડો 15 પર પહોંચ્યો છે. પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ પાસેથી મોટી માત્રામાં મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, યુએસડીટી (USDT) ક્રિપ્ટોકરન્સી, કિંમતી મોબાઈલ ફોન અને થાર કાર સહિત કુલ રૂ.4.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખંડણીની રકમ ડિજિટલ ક્રિપ્ટો વૉલેટ અને રોકડ મારફતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો પર્દાફાશ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા તમામ આરોપીઓ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે અને રીઢો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વેપારીનું અપહરણ કરીને આટલી મોટી રકમ પડાવવા પાછળનું આખું નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું તે દિશામાં ગુજરાત એટીએસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો