ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાત્રજ વિસ્તારમાં આવેલી જાણીતી અરવિંદ મીલમાંથી એક અત્યંત દૂખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અરવિંદ મીલની ગટર સાફ કરવા માટે અંદર ઉતરેલા 54 વર્ષીય સફાઈ કામદાર શૈલેષભાઈ સોમાભાઈનું અચાનક કરંટ લાગવાના કારણે મોત નિપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર ફેક્ટરી પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ તેમજ તંત્રને કરવામાં આવી હતી.
કંપની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ
ઘટના બાદ મૃતક શૈલેષભાઈના દેહને પોસ્ટ મોર્ટમ અર્થે કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ અન્ય સફાઈ કામદારો, પરિવારજનો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં કલોલ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારજનોએ કોન્ટ્રાક્ટર અને કંપની પ્રશાસન પર સુરક્ષાના સાધનો ન આપવાનો અને ઘોર બેદરકારી દાખવવાનો ગંભીર આક્ષેપ કરીને હોસ્પિટલ પરિસરમાં જ ભારે હોબાળો મચાવ્યો હતો.


