ગુજરાતના બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો રસીકરણ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નવજાત અને નાના બાળકોને પોલિયો વેક્સિનના ડ્રોપ્સ પીવડાવીને આ અભિયાનમાં લોકભાગીદારી વધારવા અપીલ કરી હતી. વર્ષ 2007થી ગુજરાતમાં પોલિયોનો એક પણ કેસ આવ્યો નથી, જે ટ્રેક રેકોર્ડ જાળવી રાખવા માટે સરકાર આ વખતે વધુ આક્રમક રીતે કામ કરી રહી છે.


82 લાખ બાળકોને સુરક્ષા કવચ આપવાનું આયોજન

આગામી ત્રણ દિવસ સુધી ચાલનારા આ સઘન રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં થઈને કુલ ૮૨ લાખથી વધુ બાળકોને આવરી લેવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ જેવા કે એસ.ટી. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને હાઈવે ટોલ નાકા પર પણ સ્પેશિયલ પોલિયો બૂથ બનાવવામાં આવ્યા છે, જેથી મુસાફરી કરી રહેલા પરિવારોના બાળકો પણ રસીથી વંચિત ન રહી જાય. આ ઉપરાંત અગરિયાઓ, ભટ્ટા મજૂરોના બાળકો અને વિચરતી જાતિના પરિવારો માટે મોબાઈલ ટીમ તૈનાત કરાઈ છે.

આરોગ્ય તંત્રનું સઘન ડિજિટલ સર્વેલન્સ

આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં ગુજરાતને હેલ્થ સેક્ટરમાં અગ્રેસર રાખવા માટે વેક્સિનેશન ખૂબ જ મહત્વનું છે. રસીકરણની પ્રક્રિયા પર નજર રાખવા માટે રાજ્ય કક્ષાએથી ખાસ કંટ્રોલ રૂમ અને ડિજિટલ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જે બાળકો બૂથ સુધી નથી આવી શક્યા, તેમના ઘરે સોમવાર અને મંગળવારે આરોગ્ય કર્મચારીઓની ટીમ રૂબરૂ મુલાકાત લેશે અને બાળકના ડાબા હાથની આંગળી પર સત્તાવાર માર્કરથી નિશાન કરી ટ્રેકિંગ સુનિશ્ચિત કરશે. મનપા કમિશનરો અને જિલ્લા કલેક્ટરોને પણ આ અભિયાનની વ્યક્તિગત દેખરેખ રાખવા આદેશો અપાયા છે.

આ પણ વાંચો: Vadodara: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે અત્યાધુનિક ઇ-બસોનું લોકાર્પણ, પ્રથમ તબક્કામાં 30 બસો શહેરીજનોની સેવામાં તૈનાત

  • Follow us on: