ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવેલા કદવાર ગામે એક દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. કદવાર ગામના સ્થાનિક ખેડૂત મહેશભાઈ વાજાની વાડીમાં આવેલા ખુલ્લા કૂવામાંથી અચાનક અવાજ આવતાં તેમણે તપાસ કરી હતી, જ્યાં કૂવાના પાણીમાં એક દીપડો ખાબકેલો નજરે પડ્યો હતો. ખેડૂતે સમયસૂચકતા વાપરીને આ અંગેની જાણ તાત્કાલિક સુત્રાપાડા વન વિભાગની ટીમને કરી હતી.

વન વિભાગનું સપાટાબંધ રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો રેસ્ક્યુ સામગ્રી અને પાંજરા સાથે ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમે સ્થાનિકોની મદદથી કૂવામાં પાંજરું ઉતારીને ભારે જહેમત બાદ દીપડાને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. કૂવામાંથી દીપડાને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળતાં વાડી માલિક સહિત ઉપસ્થિત સ્થાનિક રહીશો અને વન તંત્રએ મોટો રાહતનો શ્વાસ લીધો હતો.

વન વિભાગ દ્વારા દીપડાને એનિમલ કેર સેન્ટર ખસેડાયો

કૂવામાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા બાદ, દીપડાની શારીરિક તપાસ અને પ્રાથમિક સારવાર માટે તેને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. તબીબી નિરીક્ષણ બાદ તેને પુનઃ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગ દ્વારા દર્શાવાયેલી ત્વરિત સક્રિયતા અને સુચારુ કામગીરીની સ્થાનિક ગ્રામજનો દ્વારા ભારે સરાહના કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો