પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં આવ્યો છે. પવિત્ર પર્વે સોમનાથધામ ખાતે શ્રદ્ધાનું મહાસાગર ઉમટી પડ્યું છે. આ પાવન અવસરે સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં હરિ (શ્રીકૃષ્ણ) અને હર (મહાદેવ) નો અદભુત અને અદ્વિતીય ત્રિવેણી સંગમ રચાયેલો જોવા મળ્યો હતો, જેને નિહાળીને દેશ-વિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા.


A feast of devotion at Somnath Dham on Janmashtami


કૃષ્ણ લીલાની જીવંત ઝાંખીથી ઝળહળ્યું જ્યોતિર્લિંગ

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવના શિરે અંદાજિત રૂ.2 કરોડનો અત્યંત કીમતી અને સુવર્ણ મુગટ સુશોભિત કરવામાં આવ્યો હતો. જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણની સોમ્ય અને મનમોહક પ્રતિકૃતિ કંડારવામાં આવી હતી. આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ બાળલીલાઓની દિવ્ય ઝાંખી જીવંત કરવામાં આવી હતી. જેમાં વસુદેવજી દ્વારા ટોપલામાં બાળ સિંહાસન પર બેસાડી યમુના નદી પાર કરવાનો પ્રસંગ, વાંસળીધારી ગોપાળ સ્વરૂપ અને હિંડોળે ઝૂલતા બાળગોપાળના દર્શન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


A feast of devotion at Somnath Dham on Janmashtami


કાળિયા ઠાકોરના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા

મહાદેવના શિવલિંગ પર શ્રીકૃષ્ણના દિવ્ય શૃંગારના દર્શન કરીને ભક્તોએ ભારે ધન્યતા અને આત્મસંતોષ અનુભવ્યો હતો. 'હર હર મહાદેવ' અને 'જય શ્રી કૃષ્ણ'ના પાવન નારાઓથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. મહાદેવના સ્વરૂપમાં ભગવાન શ્રીકૃષ્ણના આ અલૌકિક અને દિવ્ય રૂપે સાક્ષાત દર્શન થતાં જ ભક્તોના મુખેથી 'જીવન ધન્ય બન્યું'ના ઉદ્ગાર સરી પડ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો