ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની સિઝન અડધી થવા આવી હોવા છતાં જોઈએ તેવો વરસાદ ન પડતાં જિલ્લામાં પાણીની ભારે કટોકટી ઊભી થઈ છે. જિલ્લાના લાખો નાગરિકો અને અનેક ઉદ્યોગો જે ડેમ પર નિર્ભર છે તે ઉમરેઠીના હિરણ-૨ ડેમની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. સત્તાવાર આંકડાઓ મુજબ, ગત વર્ષે આ જ સમયે હિરણ-૨ ડેમમાં ૨૬.૪૨ ટકા પાણી ઉપલબ્ધ હતું, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર 19.45 ટકા જ રહ્યું છે. આ ઘટાડો દર્શાવે છે કે જો આગામી દિવસોમાં મુશળધાર વરસાદ નહીં થાય તો પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે.


અલ નીનોની બેવડી અસર અને વહીવટી તંત્રનો પ્લાન

હવામાન નિષ્ણાતોના મતે ચાલુ વર્ષે વૈશ્વિક સ્તરે સક્રિય થયેલા અલ નીનોના કારણે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની પ્રબળ આશંકા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ગીર સોમનાથના સિંચાઈ વિભાગ અને સ્થાનિક પ્રશાસને અત્યારથી જ પાણીના બગાડને રોકવા અને તેના આયોજનબદ્ધ વિતરણ માટે કવાયત શરૂ કરી છે. હાલના જળજથ્થાના ઓડિટ મુજબ આ પાણી માત્ર ૩૧ જુલાઈ સુધી જ પૂરું પાડી શકાય તેમ છે. તેથી, તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો વરસાદ વધુ ખેંચાશે, તો ડેમમાંથી ઉદ્યોગોને અપાતા પાણી પર તાત્કાલિક કાપ મૂકવામાં આવશે અને આ સમગ્ર જથ્થો નાગરિકો માટે પીવાના પાણી તરીકે અનામત (રિઝર્વ) રાખવામાં આવશે.

ખેતી આધારિત અર્થતંત્રને મોટો ફટકો

બીજી તરફ, પાણીના આ સંકટે ગીર પંથકના જગતના તાતની ચિંતામાં બમણો વધારો કર્યો છે. ચોમાસાની શરૂઆતમાં ઉત્સાહભેર વાવણી કરી ચૂકેલા ખેડૂતો હવે મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સિંચાઈ માટે પાણી ન મળવાના કારણે સોરઠની શાન ગણાતા મગફળી, ઊંચી ગુણવત્તાવાળા કપાસ અને ડાંગર (ચોખા) ના પાકો સુકાઈ જવાની આરે છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી એક સપ્તાહમાં સારો વરસાદ નહીં થાય તો વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જશે અને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.

આ પણ વાંચો: Surat: મોટા વરાછાની ઓશિયન એમટેક કંપનીએ આચરી 1.73 કરોડની મહા છેતરપિંડી, રોકાણકારો રઝળ્યા

  • Follow us on: