ગોંડલ પંથકમાં લોહીના સંબંધોને કલંકિત કરતી એક અત્યંત સનસનાટીભર્યા હત્યાની ઘટના સામે આવી છે. ગુંદાળા ગામે રહેતા ૨૩ વર્ષીય રામભાઈ નામના યુવકનો તેના જ ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે પરિવારે એવું ચિત્ર ઊભું કર્યું હતું કે રામભાઈએ કોઈ ઝેરી દવા અથવા એસિડ પીને આપઘાત કરી લીધો છે. જોકે, ગોંડલ તાલુકા પોલીસને શરૂઆતથી જ આ આત્મહત્યા પાછળ કંઈક અજૂગતું હોવાની શંકા હતી, જેના કારણે પોલીસે ઝીણવટભરી ઇન્વેસ્ટિગેશન શરૂ કરી હતી.

પરિવારના આંતરિક ઝઘડાએ લીધો યુવકનો જીવ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક રામભાઈ દારૂ પીવાની ગંભીર કુટેવ ધરાવતો હતો. તે અવારનવાર નશો કરીને ઘરના સભ્યો સાથે અમાનુષી વર્તન અને મારપીટ કરતો હતો. ઘટનાના દિવસે પણ રામભાઈએ ઘરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ રોજ-રોજના કંકાસથી કંટાળી ગયેલા માતા-પિતાએ આવેશમાં આવીને રામભાઈને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે કળિયુગી માતાએ દીકરાને પકડી રાખ્યો અને બળજબરીથી તેના મોઢામાં એસિડ રેડી દીધું હતું. ત્યારબાદ તે તરફડિયા મારતો હતો ત્યારે પિતાએ બેરહેમીથી ઢીકાપાટુનો માર મારી તેનો ગળેટૂંપો દબાવી દીધો હતો, જેથી રામનું શ્વાસ રૂંધાવાથી કરુણ મોત નીપજ્યું હતું.

પુત્રવધૂએ સાસુ-સસરાની ક્રૂરતા સામે અવાજ ઉઠાવ્યો

હત્યાને અંજામ આપ્યા બાદ પાપી પિતાએ ગુના પર પડદો પાડવા માટે સ્થાનિક સ્તરે અને હોસ્પિટલમાં પેનલ પીએમની પ્રક્રિયા વહેલી તકે પતી જાય તે માટે ભારે રાજકીય ભલામણો પણ કરાવી હતી જેથી કોઈ પુરાવો ન બચે. પરંતુ, માત્ર ૪ મહિના પહેલા જ લગ્ન કરીને આ ઘરમાં આવેલી મૃતકની પત્ની બંશીબેન આ આખી ક્રૂરતા પાછળ સાસુ-સસરા જ હોવાની બાબત જાણી ગયા હતા. તેમણે પોતાના પતિને ન્યાય અપાવવા માટે વડીલો કે સમાજના દબાણમાં આવ્યા વગર સીધા પોલીસ સ્ટેશન પહોંચી સાસુ અને સસરા વિરુદ્ધ કલમ ૧૦૩(૧) હેઠળ ખૂનની ફરિયાદ નોંધાવી દીધી છે. પોલીસે ગુનો નોંધીને બંને હત્યારા માતા-પિતાને કસ્ટડીમાં લેવા તજવીજ તેજ કરી છે.

આ પણ વાંચો: Bhavnagar: આગામી 48 કલાક અતિભારે વરસાદની આગાહી, આપદાને પહોંચી વળવા NDRF ના 30 જવાનો તૈનાત