રાજકોટના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અવારનવાર દારૂ પીને પરિવાર સાથે ઝઘડા કરતા 23 વર્ષીય પુત્ર રામભાઈ બાંભવાથી કંટાળીને તેના સગાં માતા-પિતાએ જ તેની ઘાતકી હત્યા કરી નાખી. ગત 30 જૂનની સાંજે બાપ-દીકરા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાઈને માતા મનીષાબેને પુત્રને એસિડ આપ્યું હતું, અને એસિડ પીધા બાદ પુત્રે બૂમાબૂમ કરતા જ પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈએ તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
એસિડ પીધાની અફવા ફેલાવી પતાવી અંતિમવિધિ
હત્યા બાદ સમાજમાં આબરૂ જવાની બીકે ક્રૂર માતા-પિતાએ આખા ગુના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આજુબાજુના લોકો અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એવી અફવા ફેલાવી કે પુત્રે જાતે જ એસિડ પીને આત્મહત્યા કરી લીધી છે. આટલું જ નહીં, ગુનાના પુરાવાનો નાશ કરવા માટે તેમણે કોઈને શંકા ન જાય તે રીતે અત્યંત ઉતાવળે પુત્રની અંતિમવિધિ પણ પતાવી દીધી હતી. જોકે, પાપનો ઘડો લાંબો સમય છૂપો રહી શક્યો નહીં.
