રાજકોટના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અવારનવાર દારૂ પીને પરિવાર સાથે ઝઘડા કરતા 23 વર્ષીય પુત્ર રામભાઈ બાંભવાથી કંટાળીને તેના સગાં માતા-પિતાએ જ તેની ઘાતકી હત્યા કરી નાખી. ગત 30 જૂનની સાંજે બાપ-દીકરા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાઈને માતા મનીષાબેને પુત્રને એસિડ આપ્યું હતું, અને એસિડ પીધા બાદ પુત્રે બૂમાબૂમ કરતા જ પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈએ તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

એસિડ પીધાની અફવા ફેલાવી પતાવી અંતિમવિધિ 

હત્યા બાદ સમાજમાં આબરૂ જવાની બીકે ક્રૂર માતા-પિતાએ આખા ગુના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આજુબાજુના લોકો અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એવી અફવા ફેલાવી કે પુત્રે જાતે જ એસિડ પીને આત્મહત્યા કરી લીધી છે. આટલું જ નહીં, ગુનાના પુરાવાનો નાશ કરવા માટે તેમણે કોઈને શંકા ન જાય તે રીતે અત્યંત ઉતાવળે પુત્રની અંતિમવિધિ પણ પતાવી દીધી હતી. જોકે, પાપનો ઘડો લાંબો સમય છૂપો રહી શક્યો નહીં.

પત્નીની ફરિયાદ પરથી હત્યારા માતા-પિતા જેલભેગા

આ સમગ્ર હત્યાકાંડની સત્ય હકીકત મૃતકની પત્ની સામે આવતા જ તેઓ ન્યાય માટે તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. બીજી તરફ, ડૉક્ટરના પીએમ રિપોર્ટમાં પણ ચોંકાવનારો ખુલાસો થયો કે યુવકનું મોત એસિડથી નહીં, પરંતુ 'ગળું ટૂંપવાથી' શ્વાસ રૂંધાવાને કારણે થયું છે. આ પુરાવાના આધારે મૃતકની પત્નીએ સાસુ મનીષાબેન ઉર્ફે મોતીબેન અને સસરા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ મળતા જ પોલીસે એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં જ હત્યારા માતા-પિતાની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો