સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે ભારે મચાવ્યો છે. હિંમતનગર સ્થિત સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કુલ 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ કેસોના સેમ્પલ ટેસ્ટિંગ બાદ 5 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 10 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આંકડા સામે આવતાં જ આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને સ્થિતિ ગંભીર બની છે.

5 પોઝિટિવ પૈકી 4 અને નેગેટિવ પૈકી 8 બાળકોના મોત

આ વાયરસના કારણે બાળકોમાં ગંભીર લક્ષણો જોવા મળતાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા 5 પોઝિટિવ દર્દીઓમાંથી 4 બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ ઉપરાંત, નેગેટિવ રિપોર્ટ ધરાવતા 10 શંકાસ્પદ કેસોમાંથી પણ 8 બાળકોએ દમ તોડી દીધો છે. આમ, જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોના કારણે કુલ 12 માસૂમ બાળકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

2 બાળકો સારવાર હેઠળ, આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ

હાલમાં 2 બાળકો સિવિલ હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 1 બાળકને સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. જિલ્લામાં વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ તબીબો દ્વારા લોકોને બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો